કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને પગલે વહીવટીતંત્રે રાગી ગુડ્ડા વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરી છે. આ સાથે રાગી ગુડ્ડામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે કર્ણાટકના શિવમોગામાં ગઈકાલે રાત્રે એક ધાર્મિક સરઘસ પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી. શિવમોગાના એસપી જીકે મિથુન કુમારે કહ્યું કે ‘કેટલાક તોફાની તત્વોએ ઈદ ઉલ મિલાદના જુલુસ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી હિંસા ફાટી નીકળી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હતી. વીડિયોના આધારે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એસપીએ કહ્યું કે ‘સાવચેતીના પગલા તરીકે કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ હાલમાં કાબૂમાં છે, જોકે શાંતિ નગર અને રાગી ગુડ્ડા વિસ્તારમાં તણાવ હજુ પણ યથાવત છે. મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.