સુપ્રીમ કોર્ટે મંગળવારે અજમેર દરગાહના મૌલવી સૈયદ હુસૈન ગૌહર ચિશ્તીને ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા માટે લોકોને ઉશ્કેરવા બદલ તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
ગયા વર્ષે ચિશ્તીએ દરગાહ પરિસરમાં લોકોને તત્કાલિન ભાજપના પ્રવક્તા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા કહ્યું હતું. શર્માએ એક ટીવી શોમાં પ્રોફેટ મોહમ્મદ પર કથિત રીતે કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી.
કોર્ટે છ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા જણાવ્યું
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આરોપીઓ અને રાજસ્થાન સરકારની દલીલોને ધ્યાને લીધી અને જામીન અરજી ફગાવી દીધી. રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનીષ સિંઘવીએ રજૂઆત કરી હતી. જામીન અરજી ફગાવી દેતા બેન્ચે ટ્રાયલ કોર્ટને સુનાવણી ઝડપી કરવા અને છ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા જણાવ્યું છે.