અમદાવાદ,તા.11
- ગીરના સિંહો ‘જોખમ’ની શ્રેણીમાંથી બહાર
એશયાઈ સિંહોનો વસવાટ ધરાવતાં એકમાત્ર રાજય ગુજરાતના ગૌરવમાં વધુ ઉમેરો થયો હોય તેમ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(આઈસીયુએન) દ્વારા એશીયાઈ સાવજોને જોખમની શ્રેણીમાંથી બહાર મુકવામાં આવ્યા છે. સંગઠને જ 2008 માં સિંહોને જોખમી ચૂંટણીમાં મુકયા હતા અને હવે વ્યાખ્યા બદલાવીને તે શ્રેણીમાંથી મુકત કર્યા છે.
સંગઠન દ્વારા જારી કરાયેલા પ્રથમ વૈશ્વિક રીપોર્ટમાં આફ્રિકન તથા એશીયાઈ સિંહો પરના જોખમની સરખામણી પણ કરી છે. આફ્રિકામાં મોટા પ્રમાણમાં શિકાર થતો હોવાના કારણોસર ત્યાંના સિંહોની વસતીમાં 33 ટકાનો ઘટાડો થવાની સંભાવના એશીયાઈ સિંહો કરતા 19 ગણી વધુ હોવાનું દર્શાવ્યું છે.
એશીયાઈ સિંહોની વસતી સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર ગુજરાતમાં છે અને સંગઠનના રીપોર્ટને જ આધાર ગણવામાં આવે તો સૌરાષ્ટ્રની ભૂમિમાં તે ઘણા સુરક્ષિત છે. સંગઠનના રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યુ છે કે ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ જનરેશનની ગણતરી કરવામાં આવે તો આફ્રિકામાં સિંહોની વસતીમાં 33 ટકાનો ઘટાડો થવાની સંભાવના 41 ટકા છે જયારે સૌરાષ્ટ્રમાં વિહરતા એશીયાઈ સિંહો માટે આ પ્રકારનું જોખમ માત્ર બે ટકાનું છે.
સંગઠનના અંદાજ પ્રમાણે દુનિયાનાં જંગલોમાં સિંહોની વસતી 23000 છે તેમાંથી 664 ગુજરાતમાં છે. આફ્રિકાનાં જંગલોમાં સિંહોની વસતીને જોખમ વિશેનાં વિસ્તૃત રીપોર્ટમાં સંગઠને કહ્યું કે સંવર્ધનની સુરક્ષીત જગ્યા તથા વારસાઈ નુકશાન મુખ્ય છે. પરિણામે અનેક પેટા વસતી નાની અને છુટીછવાઈ થઈ રહી છે.
આ સિવાયના જોખમોમાં મોટા પ્રમાણમાં શિકાર મુખ્ય છે. માનવ વસતી તથા ખેતરોને બચાવવા માટે સાવજોનો શિકાર થઈ રહ્યો છે. આ સિવાય સિંહોના અંગો મેળવવા માટે શિકારનો વધેલો ટ્રેન્ડ ચિંતાજનક છે. ખાસ કરીને પૂર્વીય આફ્રિકા ક્ષેત્રમાં સિંહોને કારણે મોટો આર્થિક નુકશાન થતુ હોય છે. સિંહો ખેતર જેવા વિસ્તારોમાં વિહરતા હોય છે અને ઝનુની વર્તણુંકને કારણે ઝેરી મારણનો પણ ભોગ બની જાય છે.
વન્યજીવ નિષ્ણાંત
વાય.વી.માલમના કહેવા પ્રમાણે આફ્રિકા કરતાં ગુજરાતમાં સિંહોનું રક્ષણ-સંવર્ધન વધુ સારી રીતે થાય છે.સિંહ-માનવીનુ ઘર્ષણ પણ આફ્રિકામાં વધુ છે. સૌરાષ્ટ્રમાં બન્ને સાથે રહેતા શીખી જાય છે. 700 વર્ષ અગાઉ યુરોપમાં પણ સાવજો હતા. આફ્રિકાથી વિભાજીત થઈ મધ્ય ભારત ગુજરાત સુધી પહોંચ્યા હતા. 1960 ના દાયકામાં ઈરાન સાથે ચિતાના બદલામાં સિંહ આવ્યાના કરાર થયા હતા. ઈરાન સિંહની વસ્તી ધરાવવાની ઈચ્છા ધરાવતુ હોવાનું સાબિત થયુ હતું.
વન વિભાગનાં અધિકારીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ઝેરી મારણથી સિંહના શિકાર કયારેય થયા નથી. સિંહો ખેડૂતોનાં ગાય-બળદનાં શિકાર કરે તો પણ કિસાનો સહન કરી લે છે વિપરીતપણે સિંહોને કારણે નીલ ગાય જેવા પ્રાણીથી ખેતરોને રક્ષણ મળે છે.