ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક ત્રણ દિવસીય ભારતની મુલાકાતે છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પહેલા મંગળવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વચ્ચે ભૂટાનના રાજાની ભારત મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભૂટાન ભારત અને ચીન બંને સાથે તેની સરહદ વહેંચે છે અને ચીન સાથે સરહદ વિવાદ ધરાવે છે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ તરીકે જોવામાં આવી રહી છે.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પીએમ મોદી અને ભૂટાનના રાજા વચ્ચેની વાતચીત અંગે મીડિયા બ્રીફિંગ દરમિયાન માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે ભૂટાનના રાજાની ભારત મુલાકાતને ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગના વધુ વિસ્તરણ તરીકે જોવામાં આવી રહી છે. બ્રિફિંગ દરમિયાન જ્યારે ક્વાત્રાને ડોકલામ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભારત અને ભૂટાન સુરક્ષા સહયોગને લઈને સતત એકબીજાના સંપર્કમાં છે.
ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી અને ભૂટાનના રાજા વચ્ચેની બેઠકમાં રાષ્ટ્રીય હિતના અનેક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.