ભારત અને ચીન પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચુશુલ-મોલ્ડો ખાતે 14 ઓગસ્ટે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોનો 19મો રાઉન્ડ યોજે તેવી શક્યતા છે. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધનો ઉકેલ શોધવા માટે ચર્ચા કરવામાં આવશે.
મે 2020 માં, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર યથાસ્થિતિને બદલવાનો આક્રમક પ્રયાસ કર્યો. ત્યારથી બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ ચાલી રહી છે.
ચીની સેનાના પ્રતિનિધિઓ સાથેની વાતચીત માટે ભારતીય પક્ષનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી કરે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલય અને ITBPના અધિકારીઓ પણ આ વાટાઘાટોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે વાતચીત દરમિયાન ભારત પૂર્વી લદ્દાખના મોરચા પરથી સૈનિકો હટાવવાનો આગ્રહ કરી શકે છે.