યુપીના ઝાંસી સ્થિત સિપરી બજારમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ આગને કારણે 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત એટલો વિકરાળ હતો કે ફાયર બ્રિગેડની 25 ગાડીઓને આગ ઓલવવા માટે 10 કલાક સુધી મહેનત કરવી પડી હતી. જોકે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ ઈલેક્ટ્રોનિક્સની દુકાનોમાં લાગી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં 7 લોકોને બચાવી લેવાયા છે. ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રના લોકો હજુ પણ સ્થળ પર હાજર છે. દુકાનોમાં ફરી તપાસ કરવામાં આવી રહી છે.
ઝાંસીના એસએસપી રાજેશ એસનું નિવેદન
આ ઘટના પર ઝાંસીના SSP રાજેશ એસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘સિપ્રી બજાર વિસ્તારની આગમાં મૃતકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. તમામ મળી આવેલા મૃતદેહોના પંચનામાની પ્રક્રિયા રાત્રે જ કરવામાં આવશે. હાલ પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને દુકાનોની ફરી તપાસ કરવામાં આવી રહી છે.
આગને કારણે ઘણું નુકસાન થયું છે અને લોકો ઘાયલ થયા છે. અનેક વાહનો પણ આગની લપેટમાં આવી ગયાના સમાચાર છે. આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગના કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વહીવટીતંત્ર આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો તેની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે.