રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે અને ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ જોરદાર શરૂઆત બાદ સમેટાઈ ગયો હતો. રવિચંદ્રન અશ્વિનની ગેરહાજરી છતાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 319 રનમાં ઓલઆઉટ કરીને 126 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમ વતી, કુલદીપ યાદવે (2) ટોચના ક્રમમાં 2 મોટી વિકેટ લઈને ઈંગ્લેન્ડના પતનનો પ્રારંભ કર્યો અને પછી મોહમ્મદ સિરાજ (4)-રવીન્દ્ર જાડેજા (2) એ બાકીના બેટ્સમેનોનો નિકાલ કર્યો. ડકેટ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ઈંગ્લેન્ડ માટે અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો.
IND vs ENG દિવસ 3 લાઇવ અપડેટ્સ
ટીમ ઈન્ડિયાને આંચકો લાગ્યો છે અને રજત પાટીદાર 10 બોલમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાની આ બીજી વિકેટ પડી છે અને હવે લીડ 317 થઈ ગઈ છે.
યશસ્વી જયસ્વાલને પીઠમાં દુખાવો થતો હતો, જેના કારણે તેણે મેદાન છોડી દીધું હતું. હવે રજત પાટીદાર બેટિંગ કરવા આવ્યો છે.
યશસ્વી જયસ્વાલની સાથે હવે શુભમન ગીલે પણ ઝડપી રમવાનું શરૂ કર્યું છે, આ સાથે તેની અડધી સદી પણ પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની લીડ પણ 300ને પાર કરી ગઈ છે.
યશસ્વી જયસ્વાલે અજાયબી કરી બતાવી છે, તેણે માત્ર 122 બોલમાં પોતાની સદી પૂરી કરી છે અને ઈંગ્લેન્ડને સંપૂર્ણ રીતે બેક ફૂટ પર મૂકી દીધું છે. આ સાથે જ ભારતનો સ્કોર 158 રન થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયાની લીડ 284 થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 100ને પાર, યશસ્વી જયસ્વાલે શાનદાર અડધી સદી પૂરી કરી. તેની સાથે શુભમન ગિલ ક્રિઝ પર છે.
બીજા સત્રની રમત પૂર્ણ થઈ ગઈ છે અને ચાના વિરામ સુધી ભારતે 44 રન બનાવ્યા છે, જ્યારે માત્ર 1 વિકેટ પડી છે.
ભારતની પ્રથમ વિકેટ બીજા દાવમાં પડી છે અને કેપ્ટન રોહિત શર્મા આઉટ થયો છે. જો રૂટને સફળતા મળી.
આ સાથે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 126 રનની લીડ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડનો આખો દાવ માત્ર 319 રન પર સમાપ્ત થઈ ગયો હતો. સિરાજે જેમ્સ એન્ડરસનને બોલ્ડ કરીને ઇનિંગ્સનો અંત કર્યો હતો. સિરાજની આ ચોથી વિકેટ હતી.
ઈંગ્લેન્ડની 9 વિકેટ પડી ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ ટોમ હાર્ટલીને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.
સિરાજે વધુ એક વિકેટ લીધી છે અને આ વખતે તેણે રેહાન અહેમદને પોતાનો શિકાર બનાવ્યો છે.
બે બોલમાં સતત 2 સફળતા મેળવી. સ્ટોક્સ બાદ સિરાજે આગલી ઓવરના પહેલા બોલ પર બેન ફોક્સને આઉટ કર્યો હતો.
બીજા સેશનમાં ભારતને જલ્દી સફળતા મળી. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ (41) રવિન્દ્ર જાડેજાના બોલ પર આઉટ થયો હતો.
પ્રથમ સત્રની રમત પૂરી થઈ ગઈ છે અને ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટે 290 રન છે. આ સેશનમાં ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી અને 83 રન બનાવ્યા.
ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. કુલદીપ યાદવે બેન ડકેટ (153)ની વિસ્ફોટક ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ઈંગ્લેન્ડની 5 વિકેટ પડી ગઈ છે.
કુલદીપ યાદવે અદ્ભુત સ્પિન સાથે જોની બેયરસ્ટોને LBW આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાને સફળતા મળી છે. જસપ્રીત બુમરાહે જો રૂટ (18)ને પોતાનો શિકાર બનાવ્યો છે.
ત્રીજા દિવસે પણ ઇંગ્લેન્ડે ઝડપી શરૂઆત કરી હતી. બેન ડકેટ અને જો રૂટે 3-4 બાઉન્ડ્રી ફટકારી છે.
અશ્વિનની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ આ મેચ માત્ર 10 ખેલાડીઓ સાથે રમવી પડશે. જો કે, એક નિયમ છે જે તેને અશ્વિનની જગ્યાએ લઈ શકે છે.