DRDOના ભૂતપૂર્વ મહાનિર્દેશક વીએસ અરુણાચલમનું બુધવારે નિધન થયું. વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ વર્ષ 2015માં તેમને DRDOનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યું કે, ‘ડૉ. વી.એસ. અરુણાચલમના નિધનથી વૈજ્ઞાનિક સમુદાય અને વ્યૂહાત્મક જગતમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. તેમના જ્ઞાન અને સંશોધન માટેના જુસ્સાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમણે ભારતની સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમારી સંવેદના તેમના પરિવારના સભ્યો સાથે છે. ઓમ શાંતિ.’
પીએમ મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકરે પણ અરુણાચલમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સંરક્ષણ પ્રધાનના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેઓ સંરક્ષણ, ટેક્નોલોજી અને પરમાણુ બાબતોમાં ઘણા લોકોના માર્ગદર્શક હતા.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે રાજા રમન્ના પછી અરુણાચલમે 1982-92 દરમિયાન એક દાયકા સુધી DRDOને માર્ગદર્શન આપ્યું અને આકાર આપ્યો.
અરુણાચલમને એન્જિનિયરિંગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તેમના યોગદાન બદલ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ (1980), પદ્મ ભૂષણ (1985) અને પદ્મ વિભૂષણ (1990) એનાયત કરવામાં આવ્યા હતા. તેઓ 1982-92 સુધી સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા.