જામીન અરજી નકારી કાઢી અને પોલીસમાં તાત્કાલિક હાજર થઇ જવાનો ગુજરાત હાઈકોર્ટનો તારીખ 1 જુલાઈનો આદેશ રદ કરતા સુપ્રીમ કોર્ટે આજે જામીન આપી સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે સેતલવાડને આ કેસમાં કોઈપણ સાક્ષીનો સંપર્ક નહીં કરવા જમા થયેલો પાસપોર્ટ સેશન્સ કોર્ટમાં જ રહેશે અને પુરાવા સાથે છેડછાડ નહીં કરવાની જાણ પણ કરી છે.
જસ્ટીસ બીઆર ગવાઈ, એ એસ બોપન્ના અને દીપાંકર દત્તાએની ત્રણ જજોની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે જામીન આપતા જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ કેસના મોટાભાગના દસ્તાવેજો પોલીસ પાસે ઉપલબ્ધ છે ત્યારે આરોપીની પૂછપરછ માટે હવે કસ્ટડીની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુજરાત હાઈકોર્ટની તીસ્તાને જામીન નહીં આપવાના ચુકાદાની ટીકા પણ કરી છે. આરોપીએ તેમની સામે દાખલ FIRને કાઢી નાખવાનો વિરોધ નથી કર્યો એટલે જામીન મળે નહીં એવું હાઈકોર્ટનું વલણ તર્ કવિરુદ્ધ છે એમ બેન્ચે નોંધ્યું હતું. એડીશનલ સોલીસીટર જનરલ એસ વી રજુએ વિરોધ કર્યો હતો ત્યારે બેન્ચે ચેતવણી આપતા જણાવ્યું હતું, ‘અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ. આ અંગે વધારે ઊંડા ઉતરશો તો અમે ઇન્ડીયન પીનલ કોડની કલમ 194ના અર્થઘટનમાં જઈશું અને અમારે વધારે કઠોર નોંધ કરવી પડશે,’ એમ બેન્ચે જણાવ્યું હતું.
હાઈકોર્ટે જામીન નહીં આપવા માટે ખોટા પુરાવા ઉભા કરવા માટે કલમ 194 ઉપર આધાર રાખ્યો છે. આ અંગે સેતલવાડ વતી હાજર રહેતા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જૂન 2022ના ચુકાદામાં સેતલવાડ સામે કેટલાક અવલોકન કરવામાં આવ્યા છે જેના આધારે તેની સામે ફરિયાદ કરી તેની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં સેતલવાડને પક્ષકાર બનાવવામાં આવ્યા નથી આથી કલમ 194 હેઠળ નકલી કે ખોટા પુરાવા ઉભા કરવાનો કેસ બનતો નથી. સુપ્રીમ કોર્ટે આ દલીલ પણ ગ્રાહ્ય રાખી છે.
વર્ષ 2002માં ગુજરાતમાં સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપવાની ઘટના બાદ ફાટી નીકળેલા તોફાનોમાં એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકા અંગે કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝકીયા જાફરીએ તપાસની માંગ કરતો એક કેસ કર્યો હતો. આ કેસનાજૂન ૨૦૨૨ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડ, આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમારની ભૂમિકા અંગે આકરી ટીકા કરી હતી. આ ટીકાના આધારે, તેમણે નરેન્દ્ર મોદી સરકારને ઉથલાવવા કરેલા પ્રયત્ન અંગે ગુજરાત પોલીસે આ ત્રણ વ્યક્તિ સામે કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. ધરપકડ સામે તીસ્તાએ જામીન અરજી કરી હતી. તારીખ 1 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે તેની અરજી નકારી કાઢી કાર્યકરને તાત્કાલિક પોલીસ સમક્ષ હાજર થવા હુકમ કર્યો હતો.
આ હુકમ સામે તીસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં તાકીદની સુનાવણીની અરજી કરી તારીખ 19 જુલાઈ સુધીના વચગાળાના જામીન મેળવ્યા હતા. જેને આજે સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી પૂર્ણ થાય નહી ત્યાં સુધીના રેગ્યુલર જામીન કરવાનો આદેશ આપ્યો છે.