વર્ષ 2019ના અપરાધિક માનહાનિ કેસમાં મળેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં અપીલ દાખલ કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ શાસિત 3 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી સાથે કોર્ટમાં જઈ શકે છે. રાહુલ ગાંધીના વકીલોના જણાવ્યા અનુસાર સોમવારે જ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી થઈ શકે છે.
વકીલોએ જણાવ્યું કે, રાહુલ ગાંધી સેશન્સ કોર્ટને સજાને સ્થગિત કરવાની વિનંતી કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી બપોરે 2 વાગે સુરતની સેશન્સ કોર્ટ પહોંચશે. સુરતમાં રાહુલ ગાંધીની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય કેસી વેણુગોપાલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની કોર્ટની મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને હિમાચલના સીએમ સુખવિંદર સિંહ સુખુ પણ ત્યાં હશે. સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી અટક’ વિશેના નિવેદન બદલ તેમની સામે દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી.
રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને 500 (વ્યક્તિની ગુનાહિત માનહાનિ માટે દોષિત વ્યક્તિ માટે સજા) હેઠળ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જો કે ચુકાદા બાદ તરત જ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા હતા. આ સાથે તેની સજા પર પણ 30 દિવસ માટે રોક લગાવવામાં આવી હતી.
જોકે ત્યારપછી તેણે કોઈપણ કોર્ટમાં કોઈ અપીલ દાખલ કરી નથી. અહીં 24 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને કોર્ટે સજા સંભળાવ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને સંસદના સભ્યપદથી અયોગ્ય ઠેરવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા અયોગ્ય જાહેર કરાયા બાદ રાહુલ ગાંધી 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે કેસ દાખલ કર્યો હતો, ‘બધા ચોરની અટક મોદી કેમ છે?’ રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ નિવેદન.