ભારતીય ટીમના એક ખેલાડીની લંડનમાં સર્જરી થઈ છે. આ ખેલાડી વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.
IPL 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈજાના કારણે IPLમાંથી બહાર રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરની લંડનમાં પીઠની સર્જરી કરવામાં આવી હતી. મંગળવારે કરવામાં આવેલી સર્જરી સફળ રહી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રેયસ અય્યર તેની પીઠની ઈજાને કારણે કેટલીક મેચ રમી શક્યો ન હતો. તે ન્યૂઝીલેન્ડ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં રમી શક્યો ન હતો. અંતિમ બે ટેસ્ટ માટે તે પાછો ફર્યો હતો, પરંતુ અમદાવાદ ટેસ્ટ દરમિયાન તેની પીઠના નીચેના ભાગમાં ફરીથી દુખાવો થયો હતો.
ઈજા કેવી રીતે થઈ
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો, તે મેચમાં બેટિંગ કરવા માટે પણ બહાર આવી શક્યો ન હતો. આ પછી, તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે માટે પણ ઉપલબ્ધ નહોતો. બાદમાં તેણે એનસીએને જાણ કરી હતી. જો કે, સ્કેન દર્શાવે છે કે સર્જરી જરૂરી છે અને તેથી તે યુકેમાં તેનું ઓપરેશન કરાવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઈજાના કારણે તે આઈપીએલમાં એક પણ મેચ રમી શકશે નહીં.
આ વર્ષે આઈપીએલમાં કેકેઆરની કેપ્ટનશીપ કરવાની હતી
KKR ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરની ગેરહાજરીને કારણે ફ્રેન્ચાઇઝીને ઘણું નુકસાન થયું છે. તેમની ગેરહાજરીમાં નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સર્જરી બાદ તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ રમી શકશે નહીં. ભારતે તેની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામે લંડનના ઓવલમાં રમવાની છે. 28 વર્ષીય શ્રેયસ ત્રણ મહિના પછી જ પ્રેક્ટિસ શરૂ કરી શકશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ જશે.