જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તમામ 151 બસોને સ્ટેન્ડ કરાઈ છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આવતીકાલે રાજ્યના 151 બસોનું લોકાર્પણ કરશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેબીનેટ પ્રધાન રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે. એસટી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારથી જ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે અને અહીં તમામ 151 જેટલી બસોને સ્ટેન્ડ રખાઈ છે.
એસટી ડિવિઝનના ડીસીએ સાથે વાત કરતા જણાવ્યું કે કુલ ત્રણ કેટેગરીની બસોનું આવતીકાલે રાજ્યના ગૃહપ્રધાન હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મુસાફરોની સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે 151 જેટલી બસો ગુજરાત એસટી વિભાગને ફાળવી છે.
બસો તો નવી આવશે પણ ડેપો જર્જરિત
એક બાજુ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 151 બસોનું લોકાર્પણ કરશે, તો બીજી બાજુ જામનગર નો એસટી ડેપો વર્ષોથી જર્જરીત હાલતમાં છે. જોકે લોકોએ અનેક વખત એસટી ડેપોના રિનોવેશન તેમજ નવું એસટી ડેપો બનાવવાની માંગ પણ કરી હતી છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી.
રિવાબા જાડેજાએ પણ લેટર લખ્યાં પણ સ્થિતિ તેની તે જ
અગાઉ ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને લેટર લખવામાં આવ્યા હતા. એસટી ડેપોમાંથી અવારનવાર પોપડાઓ પડવાની ઘટનાઓ બને છે અને મુસાફરોના જીવ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. થોડા દિવસો પહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ રાજ્ય સરકાર સમક્ષ જામનગરમાં નવો એસટી ડેપો બનાવવાની પત્ર લખી અને માંગ કરી હતી. જોકે તેમની માંગ પણ સ્વીકારવામાં આવી નથી. ત્યારે આવતીકાલે રાજ્યના ગૃહપ્રધાન સંઘવી જામનગર આવી રહ્યા છે એસટી ડેપોને લઈ કોઈ નવી જાહેરાત કરે તેવી શક્યતા છે.
તા.12 માર્ચને રવિવારના રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી તેમના વરદ હસ્તે 151 નવીન બસોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામનગર(ઉત્તર)ના ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, જામનગર(દક્ષિણ)ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.